સુરક્ષા કીટની માંગ સાથે સફાઈ કામદારો હડતાળ પર
મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં 5 ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ સહિત 10 લોકો કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. એલજી હોસ્પિટલ અત્યારે નધિયાણી બની ગઈ છે. હોસ્પિટલના 50 જેટલા રેસિડેન્ટ ડોકટરોને ક્વોરન્ટાઈન કરવા પડ્યા છે. બીજી તરફ આજે સવારથી હોસ્પિટલના સફાઈ કામદારો પણ હડતાળ પર ઉતરી ગયા છે. કામદારોએ માંગ કરી છે કે તેઓને સુરક્ષા કીટ આપવામાં આવે. ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ કોરોનાનો ભોગ બન્યા છે અને દાણીલીમડા, બહેરામપુરાના દર્દીઓ એલજી હોસ્પિટલમાં છે ત્યારે સરકાર અને કોર્પોરેશન ધ્યાન નહિ આપે તો હજી પણ અનેક લોકો ભોગ બની શકે છે.
એલજી હોસ્પિટલમાં સારવાર પર ગંભીર અસર
અત્યારે ડોકટરો ન હોવાના કારણે એલજી હોસ્પિટલમાં સારવાર પર ગંભીર અસર જણાઈ રહી છે. બીજી બીમારીઓની સારવાર માટે આવતા દર્દીઓ પણ ભોગ બની શકે છે. અમદાવાદમાં કોરોના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગે માત્ર SVP હોસ્પિટલ પર જ પ્રાધાન્ય અને ધ્યાન આપ્યું છે. દક્ષિણ ઝોન એટલે કે બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારના પોઝિટિવ દર્દીઓને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા. આ બંને વિસ્તારમાંથી કેસો વધી અને ત્યાં દાખલ કરવામાં આવતા હોવાની જાણ છતાં તંત્ર દ્વારા ત્યાં કોઈ ધ્યાન અપાયું નથી.
Hits: 160