ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વખ્યાત કષ્ટભંજન સાળંગપુર હનુમાન મંદિરના પરિસરમાં આવેલા અતિથિગૃહમાં 100 બેડની સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ બનાવાઈ છે. અગમચેતી રાખીને આ સુવિધા ગુજરાત સરકારે ઊભી કરી છે. મંદિરના સંચાલકોએ આ માટે તત્પરતા અને તૈયારી બતાવી તે ઉચિત પગલું ગણાય. હનુમાનજી સંજીવની લેવા જાય, અને ક્યારેક પોતે જ્યાં બેઠા હોય ત્યાં પણ સંજીવની આપે. કામચલાઉ રીતે ઊભી કરાયેલી આ હોસ્પિટલમાં 10 આઈસીયુના બેડ છે અને 90 બેડ જનરલ છે. તંત્ર દ્વારા કોરોના વાયરસગ્રસ્ત દરદીની તમામ શક્ય સારવાર થઈ શકે તેવી સુવિધા અહીં ઊભી કરાઈ છે.
સાળંગપુર હનુમાનનો પ્રભાવ અને પરચા ખૂબ જાણીતા છે. અહીં તેમના ચરણોમાં શનિદેવ નારી સ્વરૂપે બિરાજે છે. કથા એવી છે કે એક વખત શનિદેવનો ત્રાસ ખૂબ વધી ગયો તેથી દેવો હનુમાનજીના શરણે ગયા. હનુમાનજી શનિદેવને શોધવા નીકળ્યા. હનુમાનજી સ્ત્રીઓ પર હાથ (કે ગદા) ના ઉપાડે તેથી શનિદેવે નારીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી આ મંદિરમાં તેઓ નારી રૂપે જોવા મળે છે.
મંદિરો હોસ્પિટલમાં ફેરવાય એ ઘટના આવકારદાયક જ કહેવાય.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના
Views: 106