Breaking News

સેન્ટ્રલ ઝોનમાં ચાની લારી અને પાનની દુકાનો બંધ રહેશે.

સુરતમાં રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક દરમિયાન રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારોમાં અને ખાણીપીણીની જગ્યાઓ પર લોકોની મોટી ભીડ જોવા મળી હતી. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જાહેર જનતાના હિતમાં કર્ફ્યૂનો હુકમ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસમાં વધારો થતા પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. આજથી સેન્ટ્રલ ઝોનમાં ચા અને પાનીની દુકાન આજથી 3 ચરણમાં ચા અને પાનની દુકાન બંધ કરાશે. સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતના વિસ્તારમાં ચા અને પાનની દુકાનો પર તપાસ કરાશે.

ડોર ટુ ડોર સરવે તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પણ વધારાશે
તંત્ર દ્વારા કર્ફ્યૂને લઈને જાહેરાત કરવામાં આવી હતી કે, કર્ફ્યૂ દરમિયાન જાહેર રસ્તાઓ પર કારણ વગર ફરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સુરત પાલિકા દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક નહીં પહેરવા પર કડક કાર્યવાહી કરવાનું અધિકારીઓને સુચન કરાયું છે. આ સાથે ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવામાં આવશે. સંક્રમણને અટકાવી શકાય તે માટે ડોર ટુ ડોર સરવે તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પણ વધારવામાં આવશે.

બહારગામથી આવનારાઓનું ચેકિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારાયું
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરી સુચન કર્યુ હતું કે બહારગામથી આવનારાઓની માહિતી પાલિકાને આપવાની રહેશે. આ સાથે તેમણે ડોક્ટર એસો. સાથે મિટિંગ યોજી હોસ્પિટલોને બેડ, ઓક્સિજનની વ્યવસ્થા, વેન્ટીલેટર, સ્ટાફ આવશ્યક તમામ સાધન ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે. લેબોરેટરીમાં વધુમાં વધુ ટેસ્ટ કરવા સુચન કરાયું છે. 90 ઘન્વંતરી રથો ને 360 વિસ્તારોને આવરી લઈ આરોગ્ય લક્ષી સરવે વધાર્યું છે. એન્ટ્રી પોઇન્ટો પર ચેકિંગ સાથે ટીમ વધારવામાં આવી છે. બહારગામથી આવનારાઓનું ચેકિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારાયું છે.

એક દિવસમાં 1,10,414 દંડ વસુલાયો
સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખનારા 143 લોકો પાસેથી 19,398 અને માસ્ક નહી પહેરનારા 1217 વ્યક્તિઓ પાસેથી 90,516 વસુલાયા છે. તેથી શનિવારે એક જ દિવસે 1361 વ્યક્તિઓ પાસેથી 1,10,414 દંડ વસુલાયો છે. આ સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ વધારાશે.

નોટિસ, દંડ અને બંધ એમ ત્રણ ચરણમાં કાર્યવાહી થશેઃ આરોગ્ય અધિકારી
સેન્ટ્રલ ઝોનમાં સવારે ચા અને પાનની દુકાનો બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. આ મામલે આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, હાલ સેન્ટ્રલ ઝોનમાં પ્રથમ ચરણમાં નોટિસ અપાશે, બીજા ચરણમાં દંડ અને ત્રીજા ચરણમાં બંધ કરવાનો નિર્ણય કરાશે.

Hits: 130

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?