કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા સરકારે જાહેર કરેલા લૉકડાઉને રોજીંદુ જીવન વેરવિખેર કરી નાંખ્યું છે. રોજબરોજના કાર્યોથી માંડી શિક્ષણ અને વર્િંકગ પ્લેસના કલ્ચરમાં ઘરમૂળથી ફેરફેરો જોવા મળી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમનો કોન્સપેપ્ટ વધુ સ્વીકાર્ય બનવા માંડયો છે. રોજગાર ધંધા કે ઉચ્ચ શિક્ષણ માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. આની દેખદેખીમાં હવે શાળાઓ પણ ઓનલાઇન શિક્ષણના રવાડે ચઢી છે. બોર્ડ કે સ્પર્ધાત્ક પરિક્ષા આપવાના હોય એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ યથાર્થ લેખાવી શકાય પરંતુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આ પધ્ધતિના ફાયદા સામે જોખમ વધુ હોવાનો સૂર જાણકારોમાંથી સંભળાઇ રહ્યો છે. ચારથી આઠમાં ધોરણના બાળકોને તો તદ્દન બિનજરૂરી રીતે આ ઓનલાઇનની ઘરેડમાં ધસડવામાં આવી રહ્યા હોય શારિરીક માનસિક આડઅસરની ચેતવણી તબીબો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ અંત વિહિન શરૂઆત છે. જે બાળકોને એડીક્શનના લેવલ સુધી લઇ જશે. સારા નરસા પાસા નકકી કરવા મુદ્દે પરિપક્વ ન હોય એવા બાળકોના હાથમાં ઇન્ટરનેટ સાથેનો મોબાઇળ, આઇપેડ કે લેપટોપ એ જીવતાં બોમ્બ સમાન હોવા સુધીની ચિંતા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. શિક્ષણ શાસ્ત્રીઓ, સમાજ શાસ્ત્રીઓ, શાળા સંચાલકો આ બાબતે ગંભીરતાં પૂર્વક વિચારી ઓનલાઇનના દુરાગામી પરિણામો વિશે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે એવી માંગ પણ ઉઠી છે.
– દસ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઓનલાઈન એજ્યુકેશન અયોગ્ય
દસ વર્ષ સુધીના બાળકો ચાર-ચાર કલાક મોબાઈલ કે કમ્પ્યૂટર સ્ક્રીન સામે બેસી રહે અને સતત તેજ જોયા કરે તે નુકસાનકારક છે. એક કલાકથી વધારેનો ‘સ્ક્રીન ટાઈમ’ બાળકો માટે યોગ્ય નથી. ઓનલાઈન કલાસમાં શિક્ષકો કરતા બાળકોની બાજુમાં બેસેલા વાલી બાળકોને વધારે ભણાવે છે, કારણ કે બાળકો શિક્ષકોની સૂચના એકલા સમજી શકતા નથી. અને જો વાલીઓ જ ભણાવતા હોય તો ઓનલાઈન શિક્ષકોનું શું કામ? ઇન્ટરનેટ કનેક્ટિવિટી બધી જગ્યાએ અને બધા જ સમયે સારી ચાલે તે શક્ય નથી. ઓનલાઈન એજ્યુકેશન સુધી તો ઠીક છે, હવે તો ઓનલાઈન પરીક્ષા પણ લેવાવાની છે. આ સ્થિતિમાં બાળકોની સાથે માતા-પિતા પણ જવાબ લખશે. નાના બાળકોનો પાયો મજબૂત કરવાનો હોય છે, જે ઓનલાઈન શિક્ષણથી શક્ય નથી. દસ વર્ષ સુધીના બાળકો માટે ઓનલાઈન એજ્યુકેશન અયોગ્ય છે. – ડો. દર્શન ચૌહાણ (પીડિયાટ્રિશિયન)
– બાળકો શિક્ષણ દરમિયાન જાણ્યે અજાણ્યે ઇન્ટરનેટની માયાજાળમાં ફસાશે
શાળા ફક્ત ભણવા માટે નથી, તેમા બાળકમાં શિસ્ત, સંસ્કાર અને વિચારોની અભિવ્યક્તિ વગેરેથી કેળવણી કરવાની હોય છે. ઓનલાઈન દવાની જેમ જ બાળકોને જોયા વગર ઓનલાઈન ભણાવવું પણ જોખમી છે. બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવાને લીધે હાથમાં મોબાઈલ ફોન રહેશે. ઓનલાઇન વર્ગો બાદ પ્રોજેક્ટ અને પરિક્ષાના કારણે બાળકો જાણ્યે અજાણ્યે નેટની માયાજાળમાં ફસાશે. જેને લીધે મોબાઈલનો ઉપયોગ વધવા સાથે સતત સર્ચ કરતા રહેશે. સામાન્ય વીડિયો ચાલતો હોય તેવા સંજોગોમાં હેકર્સ એડના સ્વરૂપના પોર્ન સાઈટ શરૂ કરી દે છે, જેને લીધે બાળકોમાં પોર્ન સાઈટ જોવાનું જોખમ પણ વધશે. બાળકોના હાથમાં સતત મોબાઈલ રહેવાને લીધે તેઓ એડીટ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મિત્રર્તુળમાં રૂબરૂ મળી ચર્ચા કરવાને બદલે ગૃપ બનાવી ચર્ચા કરશે જે નુકસાનકારક છે. – ડો. પ્રશાંત કારીયા (પીડિયાટ્રિશિયન)
– ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડર જેવી
માનસિક બીમારીનો શિકાર બની શકે
કોરોનાની મહામારીને લઈને હવે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિજિટલ અને ઓનલાઈન ક્લાસિસ ચાલુ કર્યા છે. બાળકોનો ઓનલાઈન ક્લાસિસ સિવાયનો ‘સ્ક્રિન ટાઈમ’ નક્કી કરવો ખૂબજ જરૂરી છે. નાના બાળકોનું મનોવિશ્વ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ હોય છે. જેથી તેઓ કોઈ વસ્તુના બધા પાસાઓ વિચારી કે સમજી શકતા નથી. આ પરિસ્થિતિમાં બાળકોનો કયો સ્ક્રીન ટાઈમ જરૂરી છે અને કયો સ્ક્રીન ટાઈમ બિનજરૂરી છે, તેની જવાબદારી ઘરના સભ્યોની બની રહેશે. આજના સમયમાં મોબાઈલ, લેપટોપ અને આઈપેડ જીવનનો એક અભિન્ન અંગ બની ચૂક્યાં છે, તેવા સંજોગોમાં બાળકો તેને વિવેકપૂર્વકનો ઉપયોગ કરતા ધીરે-ધીરે શિખે તે મહત્ત્વનું છે. જો તેનું ધ્યાન નહીં રાખવામાં આવે તો બાળકો ભવિષ્યમાં ‘ઇન્ટરનેટ એડીક્શન ડિસઓર્ડર’ જેવી ગંભીર બીમારીનો શિકાર બની શકે છે.
– ડો. બીમલ તમાકુવાલા (મનોચિકિત્સક)
– સતત ફોન પકડીને બેસવાથી હાથના સ્નાયુની સંવેદના ઓછી થઈ શકે
હાલ શાળાઓ દ્વારા શરૂ કરાયેલું ઓનલાઈન એજ્યુકેશન ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે. કોઈપણ વસ્તુનો અતિરેક જોખમી સાબિત થઈ શકે છે, તેવું મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગ માટે પણ કહી શકાય છે. બાળકો દ્વારા મોબાઈલ ફોન કે કમ્પ્યૂટરના વધુ પડતા ઉપયોગથી શારીરિક તકલીફો થવાનું જોખમ નકારી શકાય નહીં. મોબાઈલ ફોન લઈને લાંબા સમય સુધી ચોક્કસ પોઝિશનમાં બેસી રહેવાથી ગળાના ભાગે સ્નાયુનો દુઃખાવો શરૂ થઈ શકે છે. બાળકોમાં પણ આ તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત ગરદનના કરોડરજ્જુના ગાદીનો દુઃખાવો તથા કમરની ગાદીનો દુઃખાવો થવાની પણ સંભાવના રહેલી છે. બાળકો દ્વારા હાથમાં સતત મોબાઈલ ફોન પકડી રાખવાથી હાથના સ્નાયુની સંવેદના ઓછી થઈ શકે છે. જે માટે સાવચેતી રાખવી જરૂરી છે. બાળકો યોગ્ય રીતે બેસે છ કે નહીં તે વાલીઓએ સતત નિરીક્ષણ કરતા રહેવું.
– ડો. કેતન ખૈની (સ્પાઈન સર્જન)
Hits: 178